જો NOTAને સૌથી વધુ મત મળે તો શું?: સુપ્રીમ કોર્ટે ચૂંટણી આયોગ પાસે માંગ્યો જવાબ
- 26 Apr, 2024
સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઈલેક્શન કમિશનને નન ઓફ ધ એબોવ(NOTA) વિકલ્પને લગતી એક અરજી સંદર્ભે નોટીસ ફટકારી હતી. નન ઓફ ધ એબોવ અંગે કોર્ટમાં કરવામાં આવેલી એક અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે જે તે મતવિસ્તારમાં જો NOTAના વિકલ્પનો વધુ ઉપયોગ થયો હોય તો ત્યાંના પરિણામને રદ કરવામાં આવે અને ત્યાં ફરીથી ચૂંટણી કરાવવામાં આવે.
જાણીતા મોટીવેશનલ સ્પીકર અને લેખક એવા શિવ ખેરાએ સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી કરીને એવી માંગ કરી હતી કે જે તે ઉમેદવારને જો નોટા કરતા પણ ઓછા મત મળે તો તેને પાંચ વર્ષ સુધી ચૂંટણી લડવા દેવામાં ન આવે. શિવ ખેરા તરફથી કોર્ટમાં રજૂઆત કરી રહેલા એડવોકેટ ગોપાલ શંકરનારાયણે કહ્યું હતું કે સુરતમાં ભાજપના ઉમેદવારને હાલ અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેતા અને કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ ઉદાહરણને ટાંકીને રજૂઆત કરવામાં આવી હતી કે કોઈ એક ઉમેદવાર સિવાય કોઈ અન્ય ઉમેદવારો ભલે ચૂંટણી લડતા ન હોય, તેમ છતાં મતદારોને નોટાનો વિકલ્પ આપવો જોઈએ. કારણ કે દરેક નાગરિકને રાઈટ ટું રીજેકટનો અધિકાર આપવામાં આવ્યો છે.
અરજદારે રજૂઆત કરતા કહ્યું હતું કે નોટાનો મુખ્ય ઉદેશ્ય વિવિધ રાજકીય પક્ષો સારા ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રાખે તેનો છે. હાલની વાત કરીએ તો ઘણા ઉમેદવારો અત્યાર એવા છે, જેમની પર ક્રિમિનલ કેસો પેન્ડિંગ છે. આવા સંજોગોમાં જો વોટર પાસે નોટાનો વિકલ્પ હોય તો તે તેનો ઉપયોગ કરી શકે અને તેના ઉપયોગથી જે તે વિસ્તારમાંથી ફરીથી ચૂંટણી થઈ શકે.